Friday 22 December 2017

'તરસ'

                 
                                           
                                                                   'તરસ'



 માણસ જાત પણ કેવી છે! માણસથી એ ત્રાસી જાય છે, છતાં એને માણસ ચાલતું નથી. માણસથી ત્રાસીને થોડા મહિના એકાંત જીવન ગાળવા માટે જે અજાણ્યા પરદેશમાં આવ્યો હતો, પણ એ વખતે ફરીથી જાણે એ માણસોમાં જ રસ લેવાનું શરૂ કરી દે છે.

 આ વાત ને સ્પષ્ટ કરતી મોહમ્મદ માંકડની અદ્વિતીય રચના-નવલકથા એટલે 'તરસ'. અને આ 'તરસ' એટલે કેવી રીતે એક 'મહોબત-મંઝીલ' 'ભૈરવગઢ' બની ગઇ એની કથા. એનાથીય વધુ તો આ 'તરસ' એટલે માત્ર પ્રેમની જ 'તરસ' નહીં, પણ માણસના 'એકાંતની તરસ', માણસના 'સંબંધની તરસ'. અને 'માનવતાના ઊંડાણની તરસ'.

 નવલકથાની શરૂઆતમાં જ મન્સૂરઅલીમાં માણસજાત તરફનો ધીક્કાર દર્શાવ્યો છે. માણસની નક્કી કરેલી વિચારસરણી અને ધારણા કઈ હદ સુધી ખોટી પડી શકે એનું બેનમૂન ચિત્ર અહીં રજુ કર્યું છે. ખાન મન્સુરઅલી ખરેખર કેવી વિચિત્ર અને ભયાનક દુનિયામાં રહેતો હતો કે એક સામાન્ય માનવી અને કદાચ સામાન્ય માનવી જ નઈ પણ એક એકાંતપ્રિય માનવીને પણ ખાવા દોડે એવા એકાંતમાં એ પોતાની દુનિયામાં રહેતો હતો કે જ્યાં કદાચ એની સાથે રહી-રહી ને માત્ર એનામાં જ નહીં પણ એના ઘરના સભ્યોમાં પણ દયા, માનવતા, માયા, લાગણી, વિવેક જેવી ભાવનાનો અભાવ આપણને સ્પષ્ટ નજરે ચડે છે.
પણ, વિચારવાની વાત તો એ જ છે કે.......

 મન્સુરઅલીની એ તો કઈ હદ સુધીની ક્રૂરતા અને નિષ્ઠુરતા કે એ બીજા પર વિશ્વાસ મુકવો તો બહુ દૂરની વાત પણ, માણસજાત પ્રત્યે એટલી નફરત કે એ માણસના જીવનને એક શતરંજથી વિશેષ કંઈ ન સમજે એ તો નફરતની કોઈ ચરમસીમા !
   
હવેલીના માલિક મન્સૂરીઅલી ખાન, આજિતસિંહ, જાલુભા, દિલાવર ખાન, યુસુફ ખાન, ગુલશનબાનું હમીદખાન, ઈલ્યાસ શેખ, ગુલબાનું, છોટુ, હીરાબા અને અમરબાઇ. ખરેખર તો, દરેક પાત્રમાં અનન્ય લાગણીનો ભાવ અને  સ્વરૂપ દર્શાવ્યુ છે. એક જ જગ્યા, એક જ ઘર અને એક જ પરિસ્થિતિમાં ઉછેર થયો હોવા છતાં માણસમાં લાગણીનું સિંચન અને પ્રેમની ભાવના તદ્દન જુદી! યુસુફ ખાન અને મન્સુરઅલી ખાન બંને વચ્ચે માનવતાની કેટલી ભેદરેખા! જીવનમાં એક એવો વળાંક  આવે છે કે જ્યાં દરેકનું સર્વસ્વ લૂંટાઈ જાય છે, પણ  ત્યારે દરેક વ્યકિત  કેવા જુદ-જુદા રસ્તા અખત્યાર કરે છે.

  અહીં, કઈ રીતે માણસ દુ:ખી જીવમાંથી એકાએક આતડો અને આકરો બની જય છે એ વાતને મન્સુરઅલી દ્વારા રજૂ કરી છે. કારણ કે એની ધીરજ સાથે પણ વેરની લાગણી જોડાયેલી છે. અને આ માણસના વેરની લાગણી પણ કેવી ખતરનાક! કેવી ઊંડી! કેવી ઝેરી! જેમ ખરલમાં દવા ઘૂંટાય એમ એના મનમાં ધીરે-ધીરે વેર ઘૂંટાતું રહ્યું અને આ વધુ ઘૂંટાયેલી અસરે પોતાની અસર દેખડવાને બદલે  ભયંકર આડઅસર દેખાડી.
                     
જયારે માનવીના સંબંધમાં જયારે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જાય છે ત્યારે આવેશમાં આવીને કોઈ એક, (અહીં, ગુલશન) ઉતાવળિયા નિર્ણય લઇ લે છે અને વિખુટા હોવા છતાંય તેનાથી વિખુટા પડી શકાતું નથી. કારણ કે... નવા સંબંધોમાં પોતાની જાતને ઢળવાનું સહેલું નથી, અને જુના સંબંધને નવા ઢાળમાં ઢાળવાનું બહુ અઘરું છે!
            
આપણા જીવનમાં આપણે પણ ક્યારેક બિલ્કીસ જેવી ભૂલો કરી બેસીએ છીએ અને માની લઈએ છીએ કે સપનાની દુનિયાની જેમ કાળમીંઢ પથ્થર, ઉજ્જડ અને વેરાન મન્સુરઅલી જેવા માનવીના હ્દયના ઊંડાણમાં દયા અને પ્રેમના ઝરણાં વહે જ છે.

             કેમકે......
                          માનવી વિચારે છે કાંઈ અને બને છે કાંઈ!   

                      
ગુલશનના ગયા પછી, પોતાના અંતિમ શ્વાસ સુધી તે પોતાના પ્રેમ અને મળેલા તિરસ્કાર માટે પોતાનું સમગ્ર જીવન બદલો લેવાની ભાવના પાછળ અને શેઠના પરિવારના પતન કરવા માટે પોતાનું સર્વસ્વ ઓગલાવી નાખે છે. આખરે જેને માટે તેને પોતાની અડધાથી વધુ જિંદગી વેડફી નાખી એને આખરે એ મેળવીને પણ એ તરસ ના છિપાવી શક્યો. કારણ કે પ્રેમનો સંબંધ એ તો આગ ને સાચવવા બરાબર છે, કેમકે જો એ સાંભળીને રાખીએ તો હૂંફ આપે, નહિતર પોતે તો સળગીને ખાક થઇ જ જાય પણ, સાથે સાથ આપણને પણ સળગાવી દે!

 અને એ છતાંય જે ગુલશન, મનસુરઅલીને અનહદ પ્રેમ કરે છે એ જ મન્સુરઅલી માટે બિલ્કીસ કહે છે.......
                      
 "શું ખરેખર મન્સુરઅલી માનવી પણ છે ખરો? વાઘ સાથે તમે એક ગુફામાં સુઈ શકો, કાળા નાગની સોડમાં તમે એક ગુફામાં સુઈ શકો, પણ મન્સુરઅલી સાથે જીવવું એટલે આહ..........."

                   
અને, આખરે એ મન્સુરઅલીએ શેખનું બધું જ છીનવી લીધું. એનું સર્વસ્વ લૂંટી લીધું અને ખરેખર જયારે અંતિમ અને હુકમના એક્કા નો વાર કરવાનો હતો ત્યારે એ ડગી ગયો. જેનું નામોનિશાન નાબૂદ કરવા એ કોશિશ કરતો હતો એ જયારે મુઠ્ઠીમાં આવી ગયું ત્યા સુધીમાં તો જાણે કે એને જીવવામાંથી રસ જ ઉડી ગયો.જાણે કે એની તરસને હવે તરસ જ રહી નથી. બહુ અઘરી છે આ માણસને સમજવી, એની તરસને સમજવી કે જે પોતાને જોઈતી વસ્તુ મેળવીને, પોતાને જોઈતી મંઝિલ મેળવીને પણ એની તરસ તૃપ્ત નથી થતી.
 
     ખરેખર,
     આ તરસ પણ અજીબ છે........
          
 આખી જિંદગી માનવી જેને માટે વલખા મારે છે, જેને પોતાની જીવનની તરસ બનાવીને જીવે છે      કદાચ એ મળી જાય તો પણ સંતોષી શકાતી નહીં હોય અને કદાચ એટલે જ તો આ તૃષાને, આ ઝંખનાને 'તરસ' નું નામ અ અપાયું હશે!

અને અંતિમ શ્વાસ સુધી, જીવનની અંતિમ ક્ષણ સુધી આપણે આવી 'તરસ' પાછળ, આવા મૃગજળ પાછળ, આવા ઝાંઝવાના જળ પાછળ ભાગતા રહીએ છીએ, લડતા રહીએ છીએ કિસ્મત જોડે, કોણ જાણે કોને ખાતર! કોણ જાણે કોને માટે!

ખાલીપો ય ખાલી થઈ જય તો....

‌                                                      

‌                                               

                    ખાલીપો ય ખાલી થઈ જાય તો....



કહેવાય છે કે 'वक्त हर ग़म भुला देता हैं।' અથવા તો 'वक्त हर जख़्म मिटा देता हैं।' પણ શું ખરેખર આ સાચું છે ખરું! સમય સાથે કોઈનો ખાલીપો ભરાય જાય ખરો? ના, ક્યારેય નહી! કારણ કે ખાલીપો એ એક એવી ખાઈ છે કે જેમાંથી માણસ ક્યારેય બહાર ન આવી શકે. કારણ કે જે સતત સાથે રહે એની આદત તો પડી જ જાય ને! અને કદાચ આ આદત ની પણ આપણને આદત પડી જતી હોય છે. ખરું છે નહીં!


‌શરૂઆત માં તો આપણને આપણને આ દુઃખ અને ખરડાઈ ગયેલી લાગણીઓની સાથે જીવવામાં પડતી મુશ્કેલીઓ પછી આપણને એ  મુશ્કેલીઓ માં અને ટુટેલી લાગણીઓમાં જ પોતાનાપણું દેખાવા લાગે છે અને એમાં જ આપણું સર્વસ્વ ઓગળી જાય છે.


પરંતુ આ બધા સાથે એક વાર વિચારી જોઈએ કે.... 

                                "ખરેખર, તો આવા તૂટેલી લાગણીઓ માં જીવતા માણસ નું ખરું જીવન છે શામાં?"

 સુખ, સાહ્યબિ માં કે લોહીના તાંતણે બંધાયેલા સંબંધમાં કે પછી એકબીજા સાથે જોડાયેલી લાગણીઓમાં !!એ વિચાર જ થોડો અઘરો છે કે, માણસ પાસે બીજા ઘણાંય સંબંધ ની હૂંફ અને સુખ હોવા છતાં પણ તેનામાં નિરંતર અને સતત કોઈ ખાલીપો જીવતો હોય! અને આ ખાલીપો એને મન માત્ર ખાલીપો નહી, પણ એની સુખ થી ભરેલી દુનિયા છે! અને કદાચ જેટલો સમય એ પોતાના આ ખાલીપ સાથે જીવે છે એટલો જ સમય એ ખરું જીવન જીવે છે.

‌ડૉ. શરદ ઠાકર ના શબ્દો માં કહીએ તો........


‌" બાકીનો સમય કે જે એ એનાખાલીપણું સાથે પસાર નથી કરી શકતા, એ સમયે એ માત્ર જીવવનો  અભિનય કરે છે! "


‌આ માટે ડૉ. શરદ ઠાકર સત્ય ઘટનાને પોતાના શબ્દો માં, નિરાગ દફ્તરી અને નવધા ત્રિવેદીની વાર્તાના સ્વરૂપમાં આલેખે છે. નિરાગ ની પાસે બધું જ હોવા છતાંય એનું સર્વસ્વ લૂંટાઈ ગયું!કદાચ એમ કહી શકાય કે એણે જાતે જ પોતાનું બધું જ હણી લીધું.પોતાની જિંદગી જ જિંદગી લૂંટી લીધી. કદાચ એમ વિચારીને કે....... અન્ય કોઈ એ લૂંટી જાય તો !


  આ વાર્તા પર ડૉ. શરદ ઠાકર ના જ શબ્દોમાં દ્રષ્ટિપાત કરીએ.


નિરાગ દફ્તરી એટલે અબજોપતિ  industriyalist કે જે 52 વર્ષ ના થયા તેમાં છેલ્લા 30-30 વર્ષ થી ક્યારેય પણ પોતાનો નિત્યક્રમ ચુંકતા નહીં. એમનો બેડરૂમ એટલે એક મધ્યમવર્ગના વ્યક્તિનું ફ્લેટ પણ નાનું લાગે! અને આ બેડરૂમ માં તેમનો અને તેમના પત્ની બંનેનો બાથરૂમ પણ અલગ-અલગ અને આ બાથરૂમ પણ માત્ર તેમના જમણા હાથના અંગૂઠાની ટચ ઈમપ્રેશન થી જ ખુલતો. પોતાની અબજો-કરોડોની મિલકત માં તેઓ માત્ર આ બાથરૂમ ને જ પોતાનું અંગત રજવાડું ગણતા. કારણ કે , આ લોક કરેલા બાથરૂમ માં મિરર પાછળ આવેલી ગુપ્ત અલમારીમાં આવેલ ચોરખાનામાં એક ડાયરી અને થોડાક પત્રો જ એમની ખરી દુનિયા હતી. તે દુનિયામાં મહેક હતી એમના માદક પ્રેમની અને આ મહેક ની સ્વામિની હતી નવધા ત્રિવેદી !

30 વર્ષથી રોજ સવારે ઉઠીને તેઓ સૌથી પહેલા બાથરૂમમાં જઈ આ પત્રો અને ડાયરી વાંચતા અને તસવીરોને નિહાળતા પણ આટલા વર્ષોની પ્રેક્ટિસથી તેમને આ પત્રો પણ કંઠસ્થ થઈ ગયા હતા! પણ પત્રોના શબ્દો કરતા પણ વધારે એ એને મન એ હસ્તક્ષરો નવધાના હતા એ એને વધુ અગત્યનું હતું. એ સમયે નિરાગે એમ વિચારીને  એ સમયે ડાયરી લખેલી કે ભવિષ્યમાં સુખી દામ્પત્યના દાયકાઓ પછી આ વાંચીને નવરાશની પળોમાં એ અને નવધા રોમાંચ અનુભવશે. પણ અફસોસ! કે સાવ મામુલી વાત પર બંને એ છુટા પડી જવું પડ્યું કે નવધાના પિતાએ લગ્ન માટે કન્ડિશનલ એગ્રીમેન્ટ આપ્યું કે- લગ્ન પછી નિરાગે અમેરિકા શિફ્ટ થવું અને નિરાગે ના પાડી અને આ બે પુરુષોની ઈચ્છા વચ્ચે નવધાને ને કોઈએ પૂછ્યું પણ નહીં કે એની ઈચ્છા છે શું? અને બંને એ ઘરના વડીલોની ઈચ્છાને માન આપીને બંને એ છુટા પાડવાનું નક્કી કર્યું.

નિરાગ મંજૂષા નામની કન્યા સાથે પરણી ગયો અને સમય જતા આસમાની બુલંદીઓ મેળવી લીધી. જીવનમાં સુખ જ સુખ!  વફાદાર પત્ની, પ્રેમાળ સંતાન અને જામેલો બિઝનેસ. પણ એના છાતીના ચોરખાનામાં એક 18 વર્ષની પ્રેમિકા હજીય અવિરત ધબકતી હતી! 

અને એટલે જ તો છેલ્લા 30 વર્ષથી નિત્યક્રમ બનાવીને વહેલા ઉઠી બાથરૂમમાં જઈને ચોરખાનામાં છુપાવેલા સોનેરી અતીત ને સ્પર્શી લેતો અને એટલો સમય ખરી જિંદગી જીવી લેતા અને બાકીનો સમય જાણે કે પોતે જીવતા હોય એવો અભિનય કરતા. એક વખત જયારે એ બાથરૂમમાં હતા ત્યારે જ્યાં શોવર ચાલુ કર્યો ત્યાં તરત જ તેની પત્નીનો અવાજ આવ્યો-


‌                                                                       "અરે,સાંભળો છો, આપણે ત્યાં ઇન્કમટેક્ષ ની રેડ પડી છે !"

‌ નિરાગને આ સાંભળી ને આંચકો તો લાગ્યો પણ આઘાત નહીં! એને વિચાર્યું કે આટલું કમાવ તો રેડ તો પડે જ ને! ભલે આવ્યા! શું કરશે?ઝીણવટભરી છાનબીન? પૂછતાછ ? હિસાબ ના  ચોપડાઓ તપાશસે? સ્થાવર-જંગમ મિલ્કત, શેર સર્ટિફિકેટ્સ, ઘરેણાં, બેન્ક લોકર્સ?  વધુમાં વધુ તો શું કરશે? દીવાલો માં ગાબડાં પાડશે, સોફા ચીરશે અને બાથરૂની છત ! અને ભલે ને મારા બાથરૂમની છત પણ.......! "


‌અને તરત જ નિરાગના દિલમાં ધ્રાસકો પડ્યો. " ઓહ નો! મારા બાથરૂમમાં તો....." આ વિચાર આવતા જ એણે પોતાનો છુપાવેલો ખજાનો કાઢી ને એક પછી એક ફાડવા લાગ્યો. પાંચ મિનિટ માં તો બધું પૂરું થઇ ગયું. પછી 'ફ્લશ' નો જોરદાર અવાજ અને.......?


‌આ પાંચ મિનિટમાં તો નિરાગની દુનિયા જ લૂંટાઈ ગઈ.પણ, કદાચ એ કોઈ નથી જાણતું કે નિરાગનું શું લૂંટાઈ ગયું! લૂંટાઈ ગયો એના જીવન જીવવાનો સહારો!


હા, નિરાગ પાયમાલ થઇ ગયો.એની પાસે બધું જ હોવા છતાં કઈ ના રહ્યું. પોતાના એ જીંદગી ના ખાલીપાને દૂર કરવાની એ સોનેરી યાદો કે જે એણે 30-30 વર્ષ થી સાચવી હતી એને એણે પોતે જ ધોઈ નાખી.


કહી શકાય કે કદાચ એનો ખાલીપો  જ ખાલી થઇ ગયો.

‌ પણ વિચારો.....


‌                   માનવીનો ખાલીપો પણ ખાલી થઇ જાય તો.!...


‌    


‌આ નિરાગ અને નવધાની વાત પરથી અનુમાન લગાવી શકાય કે માનવીનું જીવન એ કોઈ ખાલીપાના કારણે ખાલી નથી થતું, પણ જયારે એ ખાલીપો ય ખાલી થઇ જાય ત્યારે એ નિરાધાર થઇ જાય છે.


‌જીવનમાં એક એવો અફસોસ અને પસ્તાવો ઘર કરી જય છે કે એણે શું ગુમાવ્યું છે એની જાણ પણ કોઈને નથી કરી શકતો! કારણ કે.....


‌નિરાગની જેમ કોઈ વ્યક્તિ કદાચ વર્ષો સુહી કોઈ ની યાદમાં તો વિતાવી શકે, પણ જયારે એ યાદો નો પણ સહારો ન રહે ત્યારે શું? અને સૌથી અઘરું તો ત્યારે બને જ્યારે આ યાદોને, આ જીવવાના સહારાને અને પોતાના આ જીવવાના સહારા ને અને પોતાના અમૂલ્ય ખજાનાને પોતાના જાતે જ વિખી નાખવો પડે! અન્ય કોઈની તો ક્યાં વાત કરવી, પોતાને જ પોતાનું સર્વસ્વ લૂંટી લેવું પડે!!



‌અને એવા સમયે....


‌       એવા સમયે હવે વ્યક્તિ કદાચ જીવન જીવવાનો અભિનય પણ ન કરી શકે! કારણ કે...વ્યક્તિ જયારે પ્રેમમાં કે અન્ય કોઈ સંબંધ માં જીવે છે અને તેના માટે પોતાનું સર્વસ્વ ત્યાગે છે, ત્યારે ખરેખર તો એ અન્ય કોઈ બીજા માટે કે પછી તે પાત્ર માટે નહીં પણ એ પોતાના જ માટે, પોતાનું સર્વસ્વ ત્યાગતી હોય છે! અને એટલે જ કદાચ એ પોતાના પ્રિય પાત્ર ની ગેરહાજરીમાં તો જીવી શકે, પણ શું ખરેખર એ સમયે એ વ્યક્તિ જીવતી હોય છે ખરી!


‌અને આવા સમયે પણ એ જીવી શકે કારણ એક જ છે કે , ખરું જીવન જીવવા માટે અન્ય કોઈની જરૂર હોતી જ નથી, જરૂર હોય છે તો લાગણીની!


‌એટલે જ કોઈએ કહ્યુ છે કે.....


‌        ક્યારેય એક માનવીને બીજો માનવી પસંદ પડતો જ નથી! બસ, પસંદ પડી જાય છે તો એક લાગણીને બીજી લાગણી!


‌છેલ્લે, બસ એટલું જ લખી શકાય કે....


‌                                                   "હા! ક્યારેય માણસ ની અંદર કશું જીવતું જ નથી હોતુ. બસ! જીવતો હોય છે તો એક માત્ર ખાલીપો!


પણ આ એક સવાલ નો જવાબ હજી સુધી નથી મળી શક્યો કે....

‌' માણસ જીવી ક્યાં સુધી શકે?'


"જ્યાં સુધી તેનામાં ખાલીપો જીવતો રહે ત્યાં સુધી!

‌ પણ, આ ખાલીપો ય ખાલી થઇ જાય તો......."